હિન્દુ ધાર્મિક વિધિઓમાં શંખ વગાડવાની પરંપરા છે. શંખને દૈવી કાર્યો, લગ્ન, ધાર્મિક વિધિઓ અને દૈનિક પ્રાર્થનામાં વગાડવાનો નિયમ છે. શાસ્ત્રોમાં પૂજાગૃહમાં શંખ રાખવું અત્યંત શુભ માનવામાં આવે છે. શંખ વગાડવાનું ધાર્મિક મહત્વ તેમજ વૈજ્ઞાનિક મહત્વ છે. શંખનો અવાજ વાતાવરણને શુદ્ધ કરે છે. વળી ઘણા પ્રકારનાં સૂક્ષ્મજંતુઓ તેના વાગવાથી નાશ પામે છે. તો ચાલો જાણીએ શંખનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ.
શંખનું ધાર્મિક મહત્વ :- શંખનો ઉદ્ભવ સમુદ્ર મંથનથી થયો હોવાનું કહેવાય છે. શંખ એ ૧૪ રત્નોમાંથી એક હતો જે સમુદ્રમાંથી ઉભરી આવ્યો હતો. વિષ્ણુ પુરાણ અનુસાર શંખને દેવીલક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. તેથી જે ઘરમાં શંખ છે ત્યાં લક્ષ્મી દેવીનું ઘર નિશ્ચિતપણે વસેલું છે. શાસ્ત્રોમાં ત્રણ પ્રકારના શંખ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રથમ દક્ષિણાવર્તી, બીજો મધ્યવર્તી છે અને ત્રીજો વામવર્તી છે. આમાંથી દક્ષિણાવર્તી શંખ વિષ્ણુને પ્રિય છે.
વૈજ્ઞાનિક દ્રષ્ટીએ શંખનું મહત્વ :– વૈજ્ઞાનિકરૂપે સાબિત થયું છે કે શંખનો અવાજ વાતાવરણમાં સૂક્ષ્મજંતુઓનો નાશ કરે છે. વર્ષ ૧૯૨૮ માં યુનિવર્સિટી ઓફ બર્લિનએ આ સંદર્ભમાં એક સંશોધન પેપર પ્રકાશિત કર્યું. જેમાં શંખનો અવાજ જંતુઓનો નાશ કરવાનું સાધન હોવાનું જણાવાયું હતું. આ સિવાય શંખ વગાડવાથી બોલવામાં જો સમસ્યા હોય તો તે પણ દૂર થાય છે. આ ઉપરાંત શંખ ના બીજા ઘણા ફાયદા પણ છે.
વાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુઇમાં શંખનું મહત્વ :– વાસ્તુશાસ્ત્ર અને ફેંગ શુઇ અનુસાર શંખનાદ અને શંખ હોવાના ઘણા ફાયદા છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ નિયમિત રીતે શંખ વગાડવો સ્વાસ્થ્ય માટે સારું છે. પછી ભલે તે નાનો શંખ હોય કે મોટો. એવું માનવામાં આવે છે કે શંખ વગાડવાથી હ્રદય સંબંધિત બીમારી નથી થતી.
ઘરમાં શંખ રાખવો ખૂબ જ શુભ છે :- ફેંગ શુઇ અનુસાર શંખનું ઘરમાં રાખવું ખૂબ જ શુભ છે. તે આપના કાર્યક્ષેત્રમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. ફક્ત તેને રાખવાથી ધંધો પણ વધે છે. ભગવાન બુદ્ધના ચરણોમાં બનેલા ૮ શુભ સંકેતોમાં શંખ પણ એક ચિન્હ છે.