ડાયાબિટીઝ એ એક એવો રોગ છે જે કોઈપણ લોકોને થઇ શકે. બદલાતી જીવનશૈલીને કારણે આ રોગ લોકોને ઝડપથી થઈ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. દર વર્ષે ડાયાબિટીઝના દર્દીઓની સંખ્યા વધતી જાય છે તેથી આપણે આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ.
ઇન્સ્યુલિનના અભાવને લીધે, રક્ત શુગર કોષોમાં સંગ્રહિત થતું નથી, જેના કારણે શરીરમાં શુગરનું સ્તર અનિયમિત રીતે વધી જાય છે. વધુ પડતા મીઠા ખોરાક ખાવા એ ડાયાબિટીસ વધવાનું મુખ્ય કારણ છે. આ સિવાય પણ બીજા ઘણા કારણો છે જે ડાયાબિટીઝ વધારે છે. ડાયાબિટીઝ ઘટાડવા માટે તમારા આહારમાં ફળોનો સમાવેશ કરવો જોઈએ.
જામફળ એક એવું ફળ છે, જે ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. જામફળમાં એવા પ્રકારના પોષક તત્વો હોય છે કે, જે ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો આપણે જાણીએ કે જામફળ કેવી રીતે ડાયાબિટીઝને નિયત્રંણમાં રાખે છે.
જામફળમાં ગ્લાઈસેમિક ઇન્ડેક્સ ખૂબ ઓછી માત્રામાં જોવા મળે છે. આનો અર્થ એ છે કે જામફળનું પાચન સરળતાથી થઈ જાય છે. તે તેના પોષક તત્વોને ધીમે ધીમે શરીરમાં મુક્ત કરે છે. જામફળ ગ્લુકોઝના સ્તરને વધતું અટકાવે છે.
જામફળમાં ખુબ વધારે પ્રમાણમાં ફાઈબર હોય છે. બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે ફાઈબરને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ફાઇબરને પચવામાં વધુ સમય લાગે છે, જેના કારણે તે લોહી સુધી ધીમે ધીમે પહોંચે છે.
જામફળમાં કેલરી ઓછી જોવા મળે છે, તેથી તેનાથી વજન પણ ઘટે છે. વધારે પડતો વજન પણ ડાયાબિટીઝ વધારવાનું એક કારણ માનવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સના કૃષિ વિભાગની માહિતી અનુસાર, 100 ગ્રામ જામફળમાં માત્ર 68 કેલરી અને 8.92 ગ્રામ શુગર હોય છે.
જામફળમાં સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે અને પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓના આહાર માટે જરૂરી માનવામાં આવે છે. આ સિવાય જામફળમાં વિટામિન ‘સી’ નારંગી કરતા 4 ગણા વધુ હોય છે. વિટામિન સી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જે ડાયાબિટીઝ જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે.
જામફળ ખાવાથી બધા જ જરૂરી પોષક તત્વો અને વિટામિન મળી રહે છે જે તંદુરસ્ત શરીર માટે જરૂરી છે. તમે જામફળને કાચું ખાઈ શકો છો અને તેનું જ્યુસ બનાવીને પણ પીઈ શકો છો.