દશેરા હિંદુ ધર્મનો મુખ્ય તહેવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ તહેવાર અસત્ય પર સત્યની જીતના રૂપમાં મનાવવામાં આવે છે. દર વર્ષે આ તહેવાર આસો મહિના શુક્લ પક્ષની દશમની તિથિએ ઉજવવામાં આવે છે. દેશભરમાં વિજયાદશમીના દિવસે રાવણના પુતળાને બાળવાની પરંપરા છે. તો ચાલો આપણે જાણીએ કે આ વર્ષે આ તહેવાર કઈ તારીખે ઉજવવામાં આવશે અને તેનું ધાર્મિક મહત્વ શું છે.
આ વર્ષે વિજયા દશમીનો ઉત્સવ 25 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે અધિમાસ હોવાના કારણે નવરાત્રી અને દશેરાના તહેવારો એક મહિના મોડા આવી રહ્યા છે. 17 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થવાની છે. જ્યારે 24 ઓક્ટોબરે રામનવમી છે.
દશેરા 25 ઓક્ટોબરે સવારે 7:41 વાગ્યે શરૂ થશે. વિજય મુહૂર્ત – બોપોરે 01:55 થી 02:40 મિનિટ સુધી રહેશે. પૂજા મુહૂર્ત – 01:11 મિનિટથી 03:24 મિનિટ સુધી રહેશે. દશેરા 26 ઓક્ટોબરે 8:59 મિનિટ પુરા થશે.
આ વર્ષે નવરાત્રી આઠ દિવસની છે. આઠમ અને નોમની તિથિએ દુર્ગાપૂજા એક જ દિવસે થશે. 24 ઓક્ટોબરે સવારે 6:58 મિનિટ સુધી આઠમ રહેશે અને ત્યારબાદ નોમ થશે.
દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. સનાતન ધર્મમાં, શસ્ત્ર અને શાસ્ત્ર બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. શાસ્ત્રના રક્ષણ અને આત્મરક્ષણ માટે ધાર્મિક રીતે શસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રાચીન સમયમાં ક્ષત્રિય લોકો દુશ્મનો પર વિજય મેળવવા માટે આ દિવસ યુદ્ધ માટે પસંદ કરવામાં આવતો હતો. પહેલાના સમયની જેમ આજે પણ શસ્ત્ર પૂજાની પરંપરા ચાલુ છે અને દેશના તમામ રાજ્યોમાં આજે પણ શસ્ત્ર પૂજા ખુબ જ ધામધૂમ સાથે કરવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન રામે દશેરાના દિવસે રાવણનો વધ કર્યો હતો. એક બીજી માન્યતા પણ છે કે, દશેરાના દિવસે માતા દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો હતો. વિજયનું પ્રતીક દશેરાના દિવસે દેશભરમાં અસ્ત્ર શસ્ત્રોની પૂજા કરવાનું વિધાન છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ કામ કરવામાં આવે છે, તેમાં શુભ લાભ મળે છે.