સનાતન ધર્મનું પાલન કરનારા દરેક વ્યક્તિના ઘરમાં એક નાનું મંદિર અવશ્ય હોય છે. આ મંદિરમાં દરેક લોકો તેમના ઇષ્ટ દેવી-દેવતાની પૂજા કરે છે. ઘરમાં મંદિર એક ખૂબ જ પવિત્ર સ્થાન છે. આપણે મંદિરમાં આપણા દેવી-દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરીએ છીએ. તેથી આ સ્થાન અંગે ખાસ સાવચેતી રાખવી જોઈએ.
ઘરમાં મંદિર બનાવતી કેટલીક બાબતની કાળજી લેવી જરૂરી છે. મંદિરમાં કેટલીક વાર આપણે અજાણતાં કેટલીક ભૂલો કરીએ છીએ. જેના કારણે દેવી-દેવતાઓનો આશીર્વાદ પ્રાપ્ત થતા નથી. તેથી, જાણો મંદિરનું નિર્માણ અને સુશોભન કરતી વખતે, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
ઘરમાં મંદિર બનાવતી વખતે, દિશાની કાળજી લેવી જરૂરી છે. જો યોગ્ય દિશામાં મંદિર હોય તો જ પૂજા-અર્ચનાનું યોગ્ય ફળ પ્રાપ્ત થાય છે. ઘરનું મંદિર ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં હોવું જોઈએ. આ સ્થળ મંદિર માટે યોગ્ય માનવામાં આવે છે. માત્ર મંદિર જ નહીં, પરંતુ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, જ્યારે તમે પૂજા કરો છો ત્યારે તમારે મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઇએ.
મંદિરનું સ્થાન વારંવાર બદલવું જોઈએ નહીં. જો તમે કોઈ પણ દેવી-દેવતાની વિશેષ પૂજા કરો છો, તો પછી તે દેવી-દેવતાની મૂર્તિને આસન પર બેસાડવી જોઈએ. મંદિરમાં બધાજ દેવી-દેવતાઓની મૂર્તિઓને આદરથી રાખવી જોઈએ.
મંદિરનો રંગ પણ યોગ્ય રાખવો જોઈએ. મંદિરને રંગતી વખતે ખૂબ ઘેરા રંગનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પીળો રંગ મંદિરના રંગ માટે યોગ્ય છે. મંદિરની નિયમિત સફાઇ કરવાથી આપણા પર ભગવાનની કૃપા રહે છે.
સનાતન ધર્મમાં પૂજા કરવાના કેટલાક નિયમો અને સમયનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી, પૂજા કરતી વખતે સમયનું પણ ધ્યાન રાખવું જોઈએ. સંધ્યા સમયે મંદિરમાં દીવો પ્રગટાવો જોઈએ. રોજ સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરવી જોઈએ. કારણ કે સવારના સમયે શાંતિનું વાતવરણ હોય છે તેથી આપણે આપણા મનને પૂજામાં કેન્દ્રિત કરી શકીએ છીએ. આમ મંદિરને લગતા આ નિયમોનું પાલન કરવાથી ધન, સંપત્તિ અને સમૃદ્ધિ આવે છે, અને આપણા ભગવાનની કૃપા રહે છે.