મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલ ‘ખજરાના ગણેશ મંદિર’ દેશભરમાં જાણીતું છે. આ ભક્તોની આસ્થાનું એક પવિત્ર સ્થાન છે. અહીં ભગવાન ગણેશ તેના ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. સંતાન પ્રાપ્તિની ઇચ્છા, પૈસાની ઇચ્છા, નોકરી, જ્ઞાન, બુદ્ધિ વગેરે વરદાન મેળવવા માટે ભક્તો આ મંદિરના દર્શન કરવા આવે છે.
આ ચમત્કારિ મંદિર વિશે કહેવામાં આવે છે કે, આ મંદિરમાં સ્વયંભુ ગણપતિ તેમના ભક્તોની દરેક ઇચ્છા પૂરી કરે છે. ભક્તોએ તેની ઈચ્છા પુરી કરવા માટે આ મંદિરમાં આવીને ઉલ્ટો સાથિયો (સ્વસ્તિક) બનાવવો પડે છે .
ખજરાના ગણેશ મંદિરમાં લોકો ભગવાન ગણેશજીની પીઠ પર ઉલ્ટો સાથિયો (સ્વસ્તિક) બનાવે છે અને ઈચ્છા પૂર્ણ થયા પછી અહીં ફરી પાછા આવે છે અને ગણેશજીની પીઠ પાછળ ઉલ્ટો સાથિયો બનાવે છે. એવું કહેવામાં આવે છે કે, આ પ્રથા અહીં ઘણા વર્ષોથી ચાલી આવી રહી છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિરમાં ઉલ્ટો સાથિયો બનાવવાથી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. બીજી માન્યતા એ છે કે, મંદિરમાં ત્રણ પ્રદક્ષિણા કરતી વખતે દોરો બાંધવાથી પણ ઇચ્છા પુરી થાય છે.
ખજરાના ગણેશ મંદિર 1735 માં હોલકર રાજવંશના શાસક અહિલ્યાબાઈ હોલકર દ્વારા બનાવવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવે છે કે, એક પંડિતને સ્વપ્ન આવ્યું હતું કે, ‘અહીં ભગવાન ગણેશની મૂર્તિ જમીનમાં દફનાવવામાં આવી છે, તેને બહાર કાઢો.’ પંડિતે આ સ્વપ્ન વિશે બધા લોકોને કહ્યું. રાણી અહિલ્યાબાઇ હોલકરે સ્વપ્ન અનુસાર આ સ્થળનું ખોદકામ કરાવ્યું તો ખોદકામ દરમિયાન ભગવાન ગણેશની મૂર્તિ મળી હતી, તેથી અહીં ખજરાના ગણેશ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
ગણપતિજીનું આ મંદિર દેશના સૌથી ધનિક ગણેશ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ તેમની મનોકામના પુરી થયા પછી અહીં આવે છે અને ઉલ્ટો સાથિયો બનાવે છે. આ મંદિરમાં બુધવારે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે અને ગણપતિજીને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે.