સચિવાલય એક જ છે. જૂનું-નવું એવું નથી. જુના સચિવાલયનું સાચું નામ ડૉ. જીવરાજ મહેતા ભવન છે. તેઓ ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી હતા. ત્રીસ વર્ષ પહેલાં સચિવાલય ત્યાં બેસતું એટલે એને જૂનું કહે છે. હવે ત્યાં કમિશ્નર કચેરીઓ બેસે છે. આ કચેરીઓ મૂળ અને એકમાત્ર સચિવાલય જે ‘નવા સચિવાલય’ તરીકે ઓળખાય છે તેના હસ્તક આવે છે. સચિવાલયનું નામ સરદાર ભવન છે. વિધાનસભાનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. વિઠ્ઠલભાઈ પટેલ એટલે સરદાર પટેલ સાહેબનાં મોટા ભાઈ જેઓ બ્રિટિશ કાલીન સંસદના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
ભારત સરકાર ફક્ત જે તે રાજ્યનાં સચિવાલયને જ કાગળ લખે. ફક્ત સચિવાલય જ કેન્દ્ર સરકારને કાગળ લખી શકે. જિલ્લાની કચેરીઓ ભારત સરકારને સીધેસીધું લખી શકે નહીં. સચિવાલય બીજી કચેરીઓ વતી ભારત સરકારને કાગળ લખે અથવા તો ભારત સરકારની સૂચનાઓ જિલ્લાઓને તથા સરકારી સંસ્થાઓને પોતાનો અભિપ્રાય ઉમેરી મોકલી આપે. બંધારણમાં જે વિષયો રાજ્યોને મળેલા છે તે તમામ વિષયો અંગે નિયમો બનાવવાની સત્તા ફક્ત સચિવાલયને છે. તે વિષયોમાં ભારત સરકાર પણ હસ્તક્ષેપ કરી શકે નહીં. જેમ કે રાજ્ય પોલીસ, અમુક વેરા, માઇનર મિનરલ ખાણ.
ગુજરાત સચિવાલયમાં કુલ ૨૬ વિભાગ છે. મહેસુલ, શિક્ષણ, ઉદ્યોગ અને ખાણ જેવા બીજા અનેક ! વિભાગનાં વડા એટલે સચિવ અને જ્યાં સરકારનાં સચિવો કામ કરતા હોય તે સચિવાલય ! દરેક વિભાગમાં ત્રીસ ચાલીસ શાખાઓ છે. સચિવાલયમાં કુલ ૫૦૦ કરતા વધુ શાખાઓ છે જે સમગ્ર ગુજરાતનો વહીવટ કરે છે. રાજ્યવ્યાપી નીતિઓ બનાવે છે અને તેનું પાલન કરવા કમિશ્નર કચેરીઓ અને જિલ્લા કચેરીઓને સૂચના આપે છે. વિભાગનાં તમામ કર્મચારી/અધિકારી સચિવશ્રીને જવાબદાર છે. સચિવશ્રી પોતે મુખ્ય સચિવ અને માન. કેબિનેટ મંત્રીને જવાબદાર છે. આ બધા મંત્રીઓ સયુંકત રીતે વિધાનસભાને જવાબદાર છે અને વિધાનસભા જનતાને જવાબદાર છે. જો કે વિધાનસભા જનતાને જવાબદાર છે એવું ક્યાંય લખ્યું નથી.
સરકારનો સમગ્ર વહીવટ માન. રાજ્યપાલનાં નામે ચાલે છે. જો કે તમામ નિર્ણયો સચિવ, અથવા કેબિનેટ મંત્રી/ મુખ્ય મંત્રી દ્વારા લેવાય છે. દરેક શાખાને દસ-બાર વિષયો ફાળવેલા છે. શાખા હસ્તક કમિશ્નર કચેરી, બોર્ડ, કોર્પોરેશન, અને ઘણી બધી નીતિઓ આવે છે. ફાઈલો વાંચતી વખતે એમ લાગે કે વાહ ! કેટલી બધી સતાઓ છે પણ ખરેખર સત્તાઓ હોતી નથી. સત્તાઓ ફક્ત સચિવ અને મંત્રીશ્રી ને હોય છે. તમામ સેક્શન અધિકારી, ઉપ સચિવ અને નાયબ સચિવ, તમામ ફાઈલો સચિવશ્રીની વિચારણા હેઠળ મૂકે છે. વખતોવખતની મિટિંગ બાદ, લાગુ પડતા બીજા વિભાગનો પરામર્શ કર્યા બાદ નોંધ પર નિર્ણય લેવાય છે અને ફાઇલ શાખામાં આવે છે. ત્યારબાદ સેક્શન અધિકારી પોતાની સહી થી લીધેલા નિર્ણયની જાહેર જનતાને જાણ કરે છે . બધા માટે હોય તો નિર્ણયને ઠરાવ કહે છે. ફક્ત આંતરિક સર્ક્યુલર માટે હોય તો તેને પરિપત્ર કહે છે. સેક્શન અધિકારીને મદદ કરવા ત્રણ ચાર નાયબ સેક્શન અધિકારી, એક બે ક્લાર્ક હોય છે અને માહિતી મેળવવા કમિશ્નર કચેરીની જે તે શાખાઓ હોય છે.
જિલ્લા કક્ષાએ સત્તાઓ બે પ્રકારે વહેંચાયેલી છે. કવાસી(quasi) સેમી-જ્યૂડીસલ સામાન્ય વહીવટ અને બીજું પંચાયતી રાજ. સામાન્ય વહીવટમાં તાલુકા કક્ષાએ મામલતદાર અને પંચાયતી રાજના મૂલ્યો મુજબ કાર્ય કરવા તાલુકા વિકાસ અધિકારી (TDO) હોય છે. મામલતદાર તાલુકાનો એક્સક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ હોય છે. તેવી જ રીતે જિલ્લા કક્ષાએ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) હોય છે. તેમને મદદ કરવા એડિશનલ કલેકટર અને ડેપ્યુટી કલેકટર હોય છે. જિલ્લામાં નીતિનો અમલ કરવાનો હોય છે આથી આ હોદ્દાને જરૂરી સત્તાઓ આપવામાં આવેલ છે. ફિલ્ડમાં કામ કરતા અધિકારીઓ ગજબની સૂઝ અને ત્વરિત નિર્ણય લેવામાં પાવરધા હોય છે જે આખા તાલુકા-જિલ્લાની જનતા સાથે સીધી રીતે જોડાઈ ઉત્કૃષ્ટ કામ કરે છે.
ઉપર મુજબનાં કાર્યોમાં ક્યાંય વિવાદ થાય અથવા પ્રવર્તમાન નિયમોનાં અર્થઘટનમાં ક્યાંય કાચું કપાય ત્યારે જે તે ખાનગી કંપની, અરજદાર, કોઈ સરકારી સંસ્થા કે અધિકારી પોતે ન્યાયાલયમાં જઇ શકે છે. કોર્ટ પોતે નવું કશું કરતી નથી. પણ, સરકારે બનાવેલા કાયદા બંધારણને અનુરૂપ છે કે નહીં તે જોવે છે અને જો છે તો તેનું અક્ષરશ: પાલન થયું છે કે કેમ તે પણ સુનિશ્ચિત કરે છે. કોર્ટના ઓર્ડરને ફોલો કરવા માટે સરકાર બંધાયેલી છે.
સૌજન્ય:- કુણાલ ગઢવી (સેક્શન અધિકારી, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સચિવાલય)