ભારતીય આધ્યાત્મિક ઇતિહાસમાં શક્તિપીઠોનું ખુબ જ મહત્વ છે અને આ શક્તિપીઠોની રચનાની પૌરાણિક કથા છે. દેવી પુરાણમાં 51 શક્તિપીઠોનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે દક્ષ રાજાએ તેમના જમાઈ ભગવાન શિવનું અપમાન કરવા માટે એક યજ્ઞનું આયોજન કર્યું હતું, અને આ યજ્ઞમાં ભગવાન શિવ ઉપરાંત તમામ દેવી-દેવતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
તે જ સમયે ભગવાન શિવના પત્ની માતા પાર્વતી યજ્ઞમાં ગયા અને હવન કુંડમાં સતી થઈ ગયા. ભગવાન શિવ સતીના શરીરને લઈને વિનાશનું નૃત્ય કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કર્યો. આ પછી, જ્યાં પણ માતા સતીના શરીરના ટુકડાઓ, વસ્ત્રો અથવા આભૂષણો પડ્યાં, ત્યાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી.
ભારતીય ઉપખંડમાં હરસિદ્ધિ માતાના ઘણા પ્રખ્યાત મંદિરો છે, પરંતુ ઉજ્જૈનમાં આવેલ હરસિદ્ધિ માતાનું મંદિર સૌથી પ્રાચીન છે. એવું કહેવામાં આવે છે કે, આજે જ્યાં મંદિર છે ત્યાં માતા સતીના હાથની કોણી પડી હતી, જેના કારણે આ શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હતી. નવ દિવસ સુધી ચાલનારા નવરાત્રીના ઉત્સવમાં અહીં ભક્તો મોટી સંખ્યામાં માતાના દર્શન કરવા આવે છે.
મુખ્ય ગર્ભગૃહમાં હરસિદ્ધિમાતાની જમણી બાજુ મહાલક્ષ્મી માતાની મૂર્તિ છે અને ડાબી બાજુ મહાસરસ્વતીની મૂર્તિ છે. ઉજ્જૈનનું પ્રખ્યાત શક્તિપીઠ હરસિદ્ધિ માતા મંદિર મહાકાલ જ્યોતિર્લિંગ મંદિરની પાસે આવેલું છે. ઉજ્જૈનની રક્ષા કરવા માટે આસપાસ દેવી દેવતાઓનો અનેક મંદિરો આવેલા છે, તેમાંથી એક હરસિદ્ધિ માતાનું મંદિર પણ છે.
આ દેવી મંદિરનું વર્ણન પુરાણોમાં પણ જોવા મળે છે. મંદિરમાં બે વિશાળ દીપ સ્તંભ છે. મંદિરના પ્રાંગણમાં પરમાર કાળની બાવડી પણ છે. ગર્ભગૃહમાં, હરસિદ્ધિ માતા શ્રીયંત્ર પર બિરાજમાન છે. સભામંડપમાં ઉપરની તરફ પણ શ્રીયંત્ર બનાવવામાં આવ્યું છે. આ યંત્રની સાથે દેશના 51 દેવીઓનાં ચિત્રો બિજ મંત્ર સાથે ચિત્રિત કરવામાં આવ્યા છે. અહીં આવતા ભક્તોની બધી મનોકામનાઓ હરસિદ્ધિ માતા પૂર્ણ કરે છે.