૨૫ નવેમ્બરનો દિવસ વિજ્ઞાનની દ્રષ્ટીએ જરા જુદી રીતે અગત્યનો છે. આ દિવસે રસાયણ વિજ્ઞાની આલ્ફ્રેડ નોબલને તેમની સૌથી વધુ કમાણી કરી આપનાર શોધ ડાઈનેમાઈડની પેટન્ટ મળી હતી. આલ્ફ્રેડ નોબલે ઘણા રસાયણો શોધ્યા હતા અને તેની પેટન્ટ મેળવી ઉત્પાદન કરેલુ પણ આ રસાયણો વિસ્ફોટકો હતા કે જે યુધ્ધમા વધુ સંહાર કરવાની ક્ષમતા ધરાવતા હોવાથી તેનો ખુબ વેપાર કરી નોબલે ખુબ ધનની કમાણી કરી હતી. તો ચાલો આપણે જાણીએ આલ્ફ્રેડ નોબલ વિશે.
૨૧ ઓકટોબર ૧૮૩૩ ના રોજ સ્ટોકહોમ શહેરમા આલ્ફ્રેડ નોબલનો જન્મ થયો હતો. તે તેના માતા-પિતાના આઠ સંતાનો પૈકી ત્રીજો હતો. નોબલ એ સ્વીડીશ વૈજ્ઞાનિક (૧૬૩૦-૧૭૦૨) નો વારસદાર હતો અને બાળપણથી એન્જીનીયરીંગ અને તેમાય ખાસ કરીને વિસ્ફોટકોમા તેને ખુબ રસ હતો.
ધંધામા અનેક નિષ્ફળતાઓ મળતા નોબલના પિતા સેન્ટ પીટર્સ બર્ગ સ્થળાંતરિત થયા અને મશીન ટુલ્સ તેમજ વિસ્ફોટકોના વ્યવસાયમા સારી પ્રગતિ કરી. નોબલે બલ્યાવસ્થાનુ માત્ર ૧૮ મહિના (૧૮૪૧ – ૧૮૪૨) શાળાનું શિક્ષણ મેળવ્યુ હતુ.ત્યાર બાદ તેના પિતાએ તેના માટે ખાનગી શીખવનાર પાસે રસાયણ વિજ્ઞાન અને ભાષાઓ શીખવાની વ્યવસ્થા કરેલી. ભણવામા હોશિયાર નોબલ અંગ્રેજી, ફ્રેંચ, રશિયન અને જર્મન ભાષાઓ સડસડાટ બોલી શકતો હતો.
ઈ.સ. ૧૮૫૦ માં તેઓ પેરીસ ગયા અને નાઈટ્રોગ્લીસરીનના શોધક સોબ્રેરો ને મળ્યા હતા. સોબ્રેરો નાઈટ્રોગ્લીસરીનના ઉપયોગનો સખત વિરોધી હતો કારણ કે તેમાં ગરમી અને દબાણની સ્થિતિમાં વિસ્ફોટ થતો હતો. બીજી બાજુ નોબલને નાઈટ્રોગ્લીસરીનના વ્યવસાયિક વિસ્ફોટક તરીકેના ઉપયોગમાં રસ હતો કારણ કે તેમાં ગન-પાઉડર કરતા વધુ શક્તિ હતી.
૧૮ વર્ષની ઉમરે નોબલ ચાર વર્ષ માટે રસાયણ વિજ્ઞાન ના વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા જ્યા તેમણે ૧૮૫૭ મા ગેસ મીટર માટે પોતાની પ્રથમ ઈંગ્લીશ પેટન્ટ મેળવી અને 1863 મા ગન-પાઉડર બનાવવાની રીત અંગેની સ્વીડીશ પેટન્ટ મેળવી.તેમની કૌટુંબિક કંપની વિસ્ફોટકોનુ ઉત્પાદન કરતી. તેમના પિતાએ કંપનીનો વહીવટ નોબલના ભાઈને સોપી દીધો જેણે પછી કંપનીની સ્થિતિ સુધારી.
પછીથી તેમા નોબલે જોડાઈને પોતાનુ સંશોધન આગળ ધપાવ્યુ. તેમણે ૧૮૬૩ મા ડીટોનેટર અને ૧૮૬૫ મા બ્લાસ્ટિંગ કેપની શોધ કરી.૩ સપ્ટેમ્બર ૧૮૬૩ ના દિવસે સ્ટોકહોમ મા તેમના કારખાનાના શેડમા ભયંકર વિસ્ફોટ થયો જેમા તેમના નાના ભાઈ સહીત પાંચ માણસો માર્યા ગયા. આ અને બીજા નાના અકસ્માતો થવા છતાં નોબલ નવા કારખાના કરતા ગયા અને વિસ્ફોટકોના સંશોધનો ચાલુ રાખ્યા.
૧૮૬૭ મા તેમણે ડાઈનેમાઈડ ની શોધ કરી અને ૨૫ નવેમ્બર ૧૮૬૭ ના દિવસે તેની અમેરિકન અને ઇંગ્લેન્ડની પેટન્ટ મેળવી. જે નાઈટ્રોગ્લીસરીન કરતા સરળતાથી સલામત રીતે હેરફેર કરી શકાય તેવુ હોવાથી ખાણોમા અને રસ્તાના કામો માટે વિસ્ફોટક તરીકે દુનિયાભરમાં તેનો બહોળો ઉપયોગ થવા લાગ્યો.
આ પછી પણ તેમણે ૧૮૭૫ માં ડાયનેમાઈડ કરતા પણ વધુ શક્તિશાળી અને સ્થાયી ગેલીગ્નાઈટ શોધ્યું અને ૧૮૮૭ માં બેલીસ્ટાઈટ ની પેટન્ટ મેળવી. તે ૧૮૮૪ મા રોયલ સ્વીડીશ એકેડમી ઓફ સાયન્સના સભ્ય તરીકે ચૂંટાયા અને માનદ ડોક્ટરેટની ઉપાધી પણ મેળવી.
નોબલના ભાઈઓએ કાસ્પિયન સમુદ્રના દરિયાઈ વિસ્તારોમા ખનીજ તેલનુ શોધન શરુ કર્યું અને નોબલે તેમા રોકાણ કરી અઢળક કમાણી કરી. નોબલે તેમના જીવનમા ૩૫૫ આંતરરાષ્ટ્રીય પેટન્ટ મેળવી અને તેમના મૃત્યુ સમયે તેમના દુનિયાભરમા ૯૦ જેટલા યુદ્ધ સામગ્રીના ઉત્પાદન કરતા કારખાના હતા.
ભારતમા કારગીલ યુદ્ધ વખતે અણીના સમયે ખુબ કામ આવેલી અને ખરીદી સમયે ભ્રષ્ટાચારના મુદ્દે ખુબ ચગેલી બોફોર્સ તોપ એ નોબલની કંપનીનુ ઉત્પાદન છે.અંગત જીવનમા નોબલે જીવનભર લગ્ન કર્યા નહોતા પણ કહે છે કે તેમની ત્રણ પ્રેયસીઓ હતી. તે દુનિયાભરમા ફર્યા પણ ૧૮૭૩ થી ૧૮૯૧ સુધી પેરિસમા રહેઠાણ રાખેલુ. તેમના જીવનમાં એકદમ આંચકારૂપ ફેરફાર વર્ષ ૧૮૮૮ મા આવ્યો.
તેમના ભાઈના મોતને ભૂલથી આલ્ફ્રેડનુ મોત સમજી પેરિસના અખબારે છાપ્યું કે ”મોતનો સોદાગર મૃત્યુ પામ્યો”આ બનાવ પછી તે પોતાને ભવિષ્યની પેઢીઓ કેવા સ્વરૂપે યાદ રાખશે તે સમજી ગયા.પોતાને લોકો જુદા સ્વરૂપે યાદ રાખે તે માટે ૨૭મી નવેમ્બર ૧૮૯૫ ના રોજ પેરીસ ખાતે નોબલે પોતાનુ વસિયતનામું કર્યું જેમાં તેમની ૯૪% સંપત્તિ નોબલ પ્રાઈઝ આપવા ટ્રસ્ટ બનાવી એમા આપી દીધી. તે સમયે આ રકમ £૧,૬૮૭,૮૩૭ બરાબર હતી.
આજના સમયની સ્થિતિએ ગણીએ તો ૪૭૨ મોલાયણ ડોલર થાય. નોબલ ઇનામો દર વર્ષે આપવામા આવે છે અને તે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, મેડીકલ ક્ષેત્ર, સાહિત્ય અને વૈશ્વિક શાંતિ એમ પાંચ ક્ષેત્રના વિશ્વના સૈથી ઉત્કૃષ્ઠ સંશોધન કે કાર્ય માટે કોઈ પણ જાતની રાષ્ટ્રીયતાના ભેદભાવ વગર આપવામા આવે છે.
આજે દુનિયાભરમા નોબલ પ્રાઈઝ એ પોતાના ક્ષેત્રમા સૌથી ઉત્કૃષ્ઠ દેખાવનો માપદંડ ગણાય છે અને લોકો આલ્ફ્રેડ નોબલને નોબલ પ્રાઈઝના સ્થાપક તરીકે યાદ કરે છે. ૧૮૯૧ માં તેઓ ફ્રાન્સથી ઇટલી ગયા અને ૧૦ ડીસેમ્બર ૧૮૯૬ ના રોજ તેમનુ ત્યા દેહાંત થયુ હતુ.