રાજપરા ખોડિયાર મંદિર ભારત દેશનાં પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યનાં ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં રાજપરા ગામમાં આવેલ છે. રાજપરા ભાવનગર થી 18 કિ.મી. તથા સિહોર થી 4 કિ.મી. દૂર ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. તેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર મંદિર અને રાજપરા ખોડિયાર મંદિર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચારેય તરફ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે.
ભાવનગરનો ‘રાજવી’ પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ ‘આતાભાઈ ગોહિલે’ બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.1914 ની આસપાસ ભાવનગરનાં રાજવી ‘ભાવસિંહજી ગોહિલે’ આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારાઓ કરાવ્યા હતા.
ભાવસિંહજીએ આ મંદિરમાં ‘આઈ શ્રી ખોડિયાર માતાજી’ને સોનાનું છત્ર (સતર) ચડાવ્યુ હતું. કહેવાય છે કે, તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. અહીં ભકતો દર રવિવારે અને મંગળવારે પૂજન-અર્ચન પાઠ-વિધિ કરી માતાજીની કૃપા મેળવે છે.
ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન પોતાના ગામમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે, હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ ખોડિયાર માતા ચાલતા હતાં.
આમ મહારાજની ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજના મનમાં શંકા થઈ કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજએ પાછું વળીને જોયું. તો આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. અને આ સ્થળ માતાજીનું સ્થાનક થઈ ગયુ, આ સ્થળ આજે સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર તરીકે જાણીતું છે.
રાજપરા મંદિર નારી ચોકડીથી 9 કિલોમિટરનાં અંતરે આવેલ છે, પરંતું મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું વધારે પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતાં દરેક ભકતો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે.
આમ રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે. અહીં આવવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે.
ખોડિયાર મંદિરની બાજુમાં જ તાંતણીયો ધરો નામનું તળાવ આવેલું છે. આ તળાવના બંધનું બાંધકામ 1930થી 1935 દરમિયાન રૂપિયા 3,38045 ના ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું. ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉરચ કક્ષાના પથ્થરો મળી આવે છે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે મોટી સંખ્યામાં રાજય અને રાજય બહારથી ભક્તો આવે છે.
ભાવનગર, સિહોર, વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા ભક્તો ખોડિયાર મંદિર જતા હોય છે. અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે. જે દુકાનો અહીંનાં ગામનાં લોકોનું આજીવિકાનું એક સાધન છે. આ ધાર્મિક સ્થળે રેલવે તથા એસ.ટી. બસની સેવાઓ પણ મળી રહે છે.