Homeધાર્મિકદેવી દેવતાઓને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી તમારી મનોકામના કરે છે પુરી...

દેવી દેવતાઓને તેમના પ્રિય ફૂલો અર્પણ કરવાથી તમારી મનોકામના કરે છે પુરી…

હિન્દુ ધર્મમાં વિવિધ ફૂલોનું વિશેષ મહત્વ છે. ધાર્મિક વિધિ, પૂજા, આરતી વગેરે શુભ કર્યો ફૂલો વિના અધૂરા માનવામાં આવે છે. ફૂલો વિશે શારદા તિલક નામના પુસ્તકમાં કહેવામાં આવ્યું છે – દૈવસ્ય મસ્તકમ્ કુર્યાત્કુસુમોપહિતામ્ સદા. એટલે કે, દેવતાઓનું મસ્તક હંમેશા ફૂલોથી સુશોભિત હોવું જોઈએ.

આમ તો કોઈપણ ફૂલ કોઈપણ ભગવાનને અર્પણ કરી શકાય છે, પરંતુ કેટલાક ફૂલો દેવતાઓને વિશેષ પ્રિય હોય છે. આ ફૂલોનું વર્ણન વિવિધ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. દેવતાઓને તેમની પસંદગીનું ફૂલ અર્પણ કરવામાં તો તે પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિની દરેક ઇચ્છા પુરી કરે છે. તો અહીં જાણો, કયા ભગવાનની પૂજામાં ક્યા ફૂલો ચઢાવવા જોઈએ.

ભગવાન શ્રીગણેશ :- આચાર ભૂષણ ગ્રંથ મુજબ ભગવાન શ્રીગણેશને તુલસી પાન સિવાય તમામ પ્રકારના ફૂલો ચઢાવી શકાય છે. પદ્મપુરાણ આચરણમાં એમ પણ લખ્યું છે કે, ‘ન તુલસ્યા ગણાધિપમ’ એટલે કે તુલસીથી ગણેશની પૂજા ક્યારેય ન કરવી. ગણેશજીને ધરો ચઢાવવાની પરંપરા છે. ગણેશને ધરો ખૂબ જ પસંદ છે. જો ધરોની ઉપરના ભાગમાં ત્રણ કે પાંચ પાંદડાઓ હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ભગવાન શિવ :- ભગવાન શંકરને ધતુરાનું ફૂલ, હરસિંગાર, નાગકેસરના સફેદ ફૂલો, સુકા કમળનું ફૂલ, કરેણ, કુસુમ, આકડો, કુશ વગેરે ફૂલો ચઢાવવા જોઈએ છે. ભગવાન શિવને કેવડાનું ફૂલ ચઢાવવું જોઈએ નહીં. શિવજીની બિલ્લીનું પાન ચઢવવાથી મનોકામનાઓ પુરી થાય છે.

ભગવાન વિષ્ણુ :- ભગવાન વિષ્ણુને કમળ, મૌલસિરી, ચમેલી, કદંબ, કેવડા, જુહી, અશોક, માલતી, વાસંતી, ચંપા, વૈજયંતિના ફૂલો પ્રિય છે. ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચઢાવવાથી પ્રસન્ન થાય છે. કારતક માસમાં ભગવાન વિષ્ણુની કેતકીના ફૂલોથી પૂજા કરવામાં આવે તો તે પ્રસન્ન થાય છે. વિષ્ણુજીને આકડો, ધતુરો, શિરીષ, સરગવાનું ફૂલ, સેમલ, કચનાર અને ગુમહોર વગેરે ફૂલો ચઢાવવા જોઈએ નહીં.

સૂર્ય નારાયણ :- સૂર્યની પૂજા કુટજ ફૂલોથી કરવામાં આવે તો તે તમારી મનોકામના પુરી કરે છે. આ ઉપરાંત કરેણ, કમળ, ચંપો, પલાશ, આકડો, અશોક વગેરે ફૂલો પણ તેને પ્રિય છે.

ભગવાન શ્રીકૃષ્ણ – મહાભારતમાં યુધિષ્ઠિરના તેમના પ્રિય ફૂલોનો ઉલ્લેખ કરતા શ્રી કૃષ્ણ કહે છે – મને ચંપો, જાસુદ, ચણક, માલતી, પલાશ અને વનમાળાના ફૂલો પ્રિય છે.

હનુમાનજી :- હનુમાનજીને લાલ ફૂલો ખૂબ પ્રિય છે. આથી લાલ ગુલાબ, લાલ ગલગોટો વગેરે ફૂલો અર્પણ કરી શકાય છે.

શનિદેવ :- શનિદેવને વાદળી લાજવંતીના ફૂલો ચઢવવા જોઈએ, આ ઉપરાંત વાદળી અથવા કાળા રંગના ફૂલો ચઢાવવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે.

ભગવતી ગૌરી :- ભગવાન શંકરને પ્રિય પુષ્પો માતા ભગવતીને પણ પ્રિય છે. આ સિવાય બેલા, સફેદ કમળ, ખાખરો, ચંપાના ફૂલો પણ અર્પણ કરી શકાય છે.

લક્ષ્મીજી :- માતા લક્ષ્મીનું સૌથી પ્રિય ફૂલ કમળ છે. પીળા ફૂલો ચઢવવાથી પણ તે પ્રસન્ન થાય છે. તેને લાલ ગુલાબ ખુબ જ પ્રિય છે.

માતા મહાકાળી :- મહાકાળી માતાને જાસૂદના ફૂલો ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે તેમને લાલ જાસૂદનાનાં ફૂલો અર્પણ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે.

માતા દુર્ગા :- માતા દુર્ગાને પણ લાલ ગુલાબ અથવા લાલ જાસુદના ફૂલો પ્રિય છે. તેના આ ફૂલો અર્પણ કરવાથી પ્રસન્ન થાય છે.

દેવી સરસ્વતી :- દેવી સરસ્વતીને પ્રસન્ન કરવા માટે સફેદ કે પીળા રંગના ફૂલો ચઢાવવામાં આવે છે. માતા સરસ્વતીને સફેદ ગુલાબ, સફેદ કરેણ અથવા પીળા ગલગોટાનું ફૂલ ચઢાવવાથી તે પ્રસન્ન થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments