એવું કહેવાય છે કે, ભારત એક સમયે એટલું સમૃદ્ધ હતું કે, અહીં દૂઘ-ઘીની નદીઓ વહેતી હતી. ગુજરાતના એક ગામમાં આ સમૃદ્ધિ હજી પણ યથાવત છે. નવરાત્રિમાં જેટલા ગુજરાતના ગરબા વખાણાય છે, તેટલી જ રૂપાલની પલ્લી વખણાય છે. રૂપાલમાં માતાની પલ્લી પર લાખો લિટર ઘી ચઢાવવામાં આવે છે, તેથી ગામની ગલીઓમાં ઘીની નદીઓ વહેવા માંડે છે. રૂપાલની પલ્લીને જોવા માટે દેશ વિદેશમાંથી લાખો લોકો આવે છે. આસો સુદ નોમની રાત્રે અહીં દર વર્ષે વરદાયિની માતાની પલ્લી નીકળે છે, તો ચાલો આ પલ્લીનું મહત્ત્વ વિષે જાણીએ…
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આસો સુદ વદની રાત્રે વરદાયિની માતાની પલ્લી નીકળે છે. આ મહોત્સવ જગજાણીતો છે. અહીં અનેરી આસ્થાના દર્શન થાય છે. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થાય છે. આ દરેક ચોકમાં પલ્લી પર ઘી રેડવામાં આવે છે. આ માટે ગામમાં આવેલ માતાના મંદિરને રોશનીથી સજાવાય છે. અહીં નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપનાની સાથે જુવારા વાવવામાં આવે છે. જેના બાદ નોમના દિવસે રાત્રે પલ્લી નીકળે છે. ઉનાવાના ઠાકોર સમાજના લોકો જ આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચોકમાં ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. આજ દિન સુધી આ પલ્લીમાં કોઈ અનિચ્છીનીય બનાવ બન્યો નથી.
પલ્લી શું છે, એવો સવાલ બધાને થાય છે. પલ્લી એટલે માતા માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોઓએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યાર બાદ પાટણના રાજા ‘સિદ્ધરાજે’ ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી. હાલમાં પલ્લી બ્રાહ્મણ, વણિક પટેલ, સુથાર, વણકર, વાળંદ, પીજારા, ચાવડા, માળી, કુંભાર વગેરે જેવી અઢાર જ્ઞાતીના લોકો સાથે મળીને બનાવે છે. તેથી આ પલ્લી સર્વધર્મ સમભાવનું પ્રતિક છે.
પલ્લી બનાવવા માટે ગામના વાલ્મીકિ ભાઈઓ રથ માટે ખીજડાનું વૃક્ષ કાપીને લાવે છે. તેમાંથી ગામના લોકો માતાનો પલ્લીરથ તૈયાર કરે છે. બાદમાં વાળંદભાઈઓ વરખડાના સોટા લાવી રથને ચારેબાજુ બાંધીને કલાત્મક રીતે શણગારે છે. પછી પલ્લીરથને પલ્લીવાળા વાસમાં માનો ગોખ તથા માતાની છબી મૂકવામાં આવે છે. તે જગ્યાને ગંગાજળ તથા ગાયના છાણ અને ગૌમૂત્રથી પવિત્ર કર્યા બાદ જ પલ્લી મૂકવામાં આવે છે. ત્યારબાદ કુંભાર પ્રજાપતિ ભાઈઓ પાંચ માટીના કૂંડા પલ્લી ઉપર મૂકે છે. આમ માતાનો સુંદર પલ્લીરથ તૈયાર કરવામા આવે છે. માતાજીનો પ્રસાદ પંચોલી બ્રાહ્મણ ભાઈઓ રાંધે છે તથા ખીચડો નૈવેધ વાલ્મીકિ સમાજના ભાઈઓ તૈયાર કરી ચાવડાને ત્યાં આપી આવે છે. આમ ગામમાં વસતા અઢારે જ્ઞાતિના લોકો માતાની શકિત મુજબ સેવા કરે છે.
અહીં વરદાયી માતા ભક્તોની બધી મનોકામના પુરી કરે છે, માનતા પુરી થયા બાદ લોકો પલ્લીમાં ઘી ચઢાવવા આવે છે. આ ઉપરાંત આ ગામમાં જેમને નાના બાળકો હોય, તેઓ તેમને પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવે છે. માતાના આશીર્વાદથી જેમની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પુરી થઈ હોય તેઓ બાળકોનો પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવે છે. ગામની મહિલાઓ માથે ઘડુલિયા લઈને ગરબા લે છે. અને ગામાન પુરુષો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. સૌપ્રથમ જ્વાળા અને ખીજડાના પૂજનથી શરૂઆત કરવામાં આવે છે. પલ્લી મંદિરમાંથી નીકળીને ચોકમાં આવે એટલે તેના પર ઘી રેડવામાં આવે છે.
પલ્લી નીકળી ગયા બાદ પણ ગામમાં અનેરુ દ્રશ્ય જોવા મળે છે. ગામના વાલ્કી સમાજના લોકો ડોલ, ટબ લઈને ચઢાવાયેલા ઘીને એકઠું કરતા જોવા મળે છે. કહેવાય છે કે, અર્પણ કરાયેલા ઘીનો ઉપયોગ માત્ર ગામના વાલ્મીકી સમાજના લોકો જ કરી શકે છે. અન્ય કોઈ પણ સમુદાય ઘીનો પ્રસાદ લેતા નથી. પલ્લી જ્યારે ગામમાં નીકળે છે, ત્યારે ગામના લોકો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરા પર પલ્લી મંદિરમાં મૂકાયા બાદ તેઓ ઘી અર્પણ કરે છે.
માતાની પલ્લી એટલે માનો રથ. જેની ઉપર પાંચ પાંડવોના પ્રતિમ સમી જ્યોત ઝળહળતી હોય છે. આ રથમાં સ્વંય માતા બિરાજમાન હોય છે. માતાજીની પલ્લીમાં ગામના અઢારેય જ્ઞાતિના લોકો સેવા આપે છે. આ પલ્લીના ઈતિહાસ અને મહ્ત્ત્વ વિશે લખાયેલું છે કે, દ્વાપર યુગમાં પાંડવોએ અજ્ઞાતવાસમાં જાત પહેલા પોતાના અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડીને તેની રક્ષા માટે માતા વરદાયિનીની પ્રાર્થના કરી હતી. આ ખીજડાના ઝાડ નીચે માનું સ્થાનક હતું. એ વખતે રૂપાલ અને આજુબાજુના પંથકમાં ગાઢ જંગલ જ હતું.
અજ્ઞાતવાસ પૂરો કરી પાંડવો પરત પુન: માના સ્થાનકે પાછા ફર્યા હતા અને તેમનાં અસ્ત્ર-શસ્ત્ર છુપાવ્યાં હતાં તે પરત મેળવી માના આશીર્વાદ લીધા અને ત્યાં પંચબલિ યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી બનાવી માતાની પાસે મૂકી હતી. આમ પલ્લીનો પ્રારંભ મહાભારત કાળથી પાંડવોએ કર્યો હતો. આ પલ્લીયાત્રા પાંડવાકાળથી ચાલી આવે છે. માતા વરદાયિનીનો સાક્ષાત્કાર જોઈને માતાના દર્શન કરવા લાખો ભક્તો નવરાત્રિ દરમિયાન અને પલ્લીના દિવસે રૂપાલની મુલાકાતે આવે છે. અહીં માતા તેમના ભક્તોની બધી મનોકામના પુરી કરે છે.