બધા લોકો એ જાણતા જ હશે કે, દરિયાનું અને મહાસાગરોનું પાણી ખારું હોય છે, પરંતુ આનું કારણ બહુ ઓછા લોકો જાણતા હશે. દરિયાનું પાણી એટલું ખારું હોય છે કે, તેનો ઉપયોગ પીવા માટે થઈ જ નથી શકતો. દરિયામાં એટલું મીઠું ક્યાંથી આવ્યું કે પાણી ખારું થઈ ગયું? આજે અમે તમને આ લેખ દ્વારા આ પ્રશ્નનો જવાબ આપીશું.
આપણી પૃથ્વીના 70 ટકા ભાગમાં પાણી છે અને આ પાણીનો 97 ટકા ભાગ દરિયા અને મહાસાગરોમાં છે. અમેરિકાના રાષ્ટ્રીય ઓસિયાનિક અને એટમૉસ્ફિયરીક એડમિનિસ્ટ્રેશન મુજબ, જો દરિયામાંથી બધું મીઠું કાઢીને તેને જમીન પર ફેલાવવામાં આવે તો તેનું સ્તર 500 મીટર ઉંચું થઈ જાય.
સમુદ્રમાં મીઠા આવવાના બે સ્ત્રોત છે. દરિયામાં સૌથી વધુ મીઠું નદીઓમાંથી આવે છે. વરસાદનું પાણી થોડું એસિડિક હોય છે, જ્યારે વરસાદનું પાણી જમીન પર પડે છે, ત્યારે જમીનનું ધોવાણ થઈ જાય છે અને જમીનમાં રહેલ આયનો પાણી સાથે નદી દ્વારા સમુદ્રમાં જાય છે. આ પ્રક્રિયા કરોડો વર્ષોથી ચાલી રહી છે.
આ સિવાય સમુદ્રમાં મીઠું આવવનો અન્ય સ્ત્રોત પણ છે, જે કાદવના તળિયામાંથી આવતા થર્મલ દ્રવ્યો છે. આ વિશેષ દ્રવ્યો દરિયામાં દરેક જગ્યાએથી નથી આવતા, આ દ્રવ્યો છિદ્રો દ્વારા પૃથ્વીની આંતરિક સપાટીમાંથી આવે છે. પાણી પૃથ્વીની આંતરિક સપાટીના સંપર્કમાં આવવાથી ગરમ થઈ જાય છે, અને આ ઉપરાંત ઘણી રાસાયણિક પ્રતિક્રિયા થાય છે.
સમુદ્ર અને મહાસાગરોમાં સૌથી વધુ ક્લોરિન અને સોડિયમ આયનો હોય છે. આ સિવાય સમુદ્રમાં ઘણા આયનોની રહેલા છે. બધા જ સમુદ્રના પાણીમાં એક સરખી ખારાશ નથી હોતી. તાપમાન, બાષ્પીભવન અને વરસાદને કારણે, અલગ-અલગ સ્થાનોના પાણીમાં તફાવત હોય છે. વિષુવવૃત્ત અને ધ્રુવોની નજીકના વિસ્તારોમાં પાણીમાં ખૂબ ઓછી માત્રામાં ખારાશ હોય છે. પરંતુ અન્ય જગ્યાએ ખૂબ જ વધારે ખારાશ હોય છે.