હીરાનો વેપાર કરનારા એક ભાઇનું અકસ્માતમાં મૃત્યુ થયું. ધંધામાં ખોટ જવાના કારણે કુટુંબની સ્થિતી બહુ સારી નહોતી અને પરિવારમાં બીજુ કોઇ નહી. આ મૃત્યુ પામનાર ભાઇની પત્નિ અને એક 7-8 વર્ષની ઉંમરનો દિકરો. કુટુંબના નિભાવની તમામ જવાબદારી આ વિધવા પર આવી પડી. એણે પોતાના પતિનો અંગત કબાટ તપાસવાનું શરૂ કર્યુ એ આશાએ કે કદાચ કંઇક એવું છુપાવીને રાખ્યુ હોય જેનાથી પરિવાર સરળતાથી ચલાવી શકાય.
કબાટ ફંફોસતા એક બહુ મોટુ પેકેટ મળ્યુ. ખોલ્યુ તો આનંદનો પાર નહી. એકદમ ચળકતા ખુબ હીરા હતા એ પેકેટમાં પેલા બેન પતિની વિદાયનો વિયોગ પણ ભુલી ગયા. એમણે વિચાર્યુ કે આ કિંમતી હીરા જો બીજાને આપીશ તો કદાચ મને છેતરીને પુરતા નાણા નહી આપે મારો સગો ભાઇ પણ હીરાનો વેપાર કરે છે તો આ હીરા એને જઇને જ વેંચું.
બાળકને સાથે લઇને એ વિધવા બાઇ પોતાના ભાઇના ઘેર ગઇ અને ભાઇને બધી જ વાત કરીને કહ્યુ જો ભાઇ આ કિમતી હીરાનું કેવડુ મોટુ પેકેટ છે હવે આખી જીંદગી મારે શાંતિ. ભાઇ આ પેકેટ વેંચીને તું મને રકમ લાવી આપ.
ભાઇએ કહ્યુ બહેન આ હીરા ખુબ કિંમતી છે અત્યારે નથી વેંચવા ભાણાને મોટો થવા દે અત્યારે તું ઘર ચલાવાવાની ચિંતા ના કર હું મદદ કરીશ અને ભાણાને પણ મારી સાથે રાખીને હીરાના વેપારમાં નિષ્ણાંત બનાવીશ. ભાણો પુરે પુરો તૈયાર થઇ જાય પછી આપણે આ હીરા વેંચશુ ત્યાં સુધી તું એને સાચવીને તારી પાસે જ રાખ અને આ બાબતની ભાણાભાઇને ક્યારેય વાત ના કરતી. પેલી બેન હીરા પાછા લઇને રાજી થતી જતી રહી.
ઘણા વર્ષો પસાર થયા હવે પેલો 7-8 વર્ષનો નાનો બાળક 21 વર્ષનો ફુટડો યુવાન બની ગયો હતો. એના મામાએ હીરાની પરખ કરવામાં ભાણાને ખુબ મોટો નિષ્ણાંત બનાવ્યો હતો. એક દિવસ મામા ભાણાભાઇના ઘેર ગયા. ભાણાભાઇને કહ્યુ બેટા તારી માં એ તારા પિતાની અમૂલ્ય મુડી સાચવીને રાખી છે આજે એ મુડી તને આપવી છે. પછી પોતાની બહેન ને કહ્યુ કે બહેન પેલા હીરા લઇ આવ અને ભાણાને આપ. વિધવા બહેન ઘરમાં જઇને વર્ષોથી સાચવી રાખેલ હેરાનું પેકેટ લાવી અને આનંદ સાથે પોતાના યુવાન દિકરાના હાથમાં મુક્યું. છોકરાએ પેકેટ ખોલ્યુ. હિરા હાથમાં લઇને જોયા અને પછી ફળીયામાં ફેંકી દીધા. એની માં તો જોતી જ રહી. માંડ એટલુ બોલી શકી કે બેટા આ શું કર્યુ ?
છોકરાએ કહ્યુ અરે માં આ હીરા નહી માત્ર કાચના ટુકડા છે જેની કીંમત કોડીની પણ નથી. બહેને પોતાના ભાઇની સામે જોઇને કહ્યુ કે આ શું બકવાસ કરે છે ? ત્યારે ભાઇએ કહ્યુ બહેન એ બીલકુલ સાચુ કહે છે. તે મને પેકેટ બતાવ્યુ ત્યારે જ મને ખબર પડી ગઇ હતી કે આ કાચના ટુકડા છે પણ મેં ત્યારે તને એમ કહ્યુ હોત તો તને એમ થાત કે મારા ભાઇને મારા હીરા પાણીના ભાવે પડાવી લેવા છે માટે આમ કહે છે એટલે મે યોગ્ય સમયની રાહ જોઇ.
દરેક વાત કહેવાનો એક યોગ્ય સમય હોય છે સત્ય વાત પણ જો અયોગ્ય સમયે કહેવામાં આવે તો સંબંધો તુટવાની શક્યતાઓ પુરે પુરી છે.